૯૧. અને તે લોકોએ અલ્લાહ તઆલાની જેવી કદર કરવી જરૂરી હતી, તેવી કદર ન કરી, પરંતુ એવું કહી દીધું કે અલ્લાહએ કોઇ વ્યક્તિ પર કંઈ પણ અવતરિત નથી કર્યું, તમે તેમને પૂછો કે તે કિતાબ મૂસા પાસે હતી તેને કોણે ઉતારી હતી? (તે કિતાબ) જે દરેક લોકો માટે પ્રકાશ અને માર્ગદર્શન હતી, જેને તમે તે વિરોધી કાગળો સાથે મૂકી રાખી છે, જેમાંથી કેટલાક કાગળો જાહેર કરો છો અને ઘણા કાગળોને છૂપાવો છો, અને તે કિતાબ દ્વારા તમને તે શીખવાડવામાં આવ્યું હતું, જે ન તો તમે જાણતા હતા અને ન તો તમારા પૂર્વજો, તમે તેંમને કહી દો કે તેને અલ્લાહ તઆલાએ જ ઉતારી હતી, પછી તેઓને તેઓની અંધશ્રદ્ધામાં રમતા છોડી દો.